રેવન્યૂ ઓથોરિટીના સત્તા ક્ષેત્રના મુદ્દે દીવાની કોર્ટ નિર્ણય ન કરી શકેઃ હાઈકોર્ટ.
પારિવારિક જમીન વિવાદમાં ગણોત નક્કી ન થાય ત્યાં સુધી દીવાની કાર્યવાહી પર સ્ટે.
ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ટેનન્સી એકટ મુદ્દે બહુ મોટો ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, જે વિવાદીત પ્રશ્નને નિર્ણિત કરવાની સત્તા કાયદા (ટેનાન્સી એકટ) હેઠળ રેવન્યૂ ઓથોરિટીને બક્ષાયેલી હોય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટને કોઈ નિર્ણય કરવાની કે આવી બાબત પર અધિકારક્ષેત્ર સંભાળવાની મંજૂરી નથી. સિવિલ કોર્ટે આવી બાબતો વૈધાનિક કાયદાની જોગવાઈ મુજબ, આવા નિર્ણયો રેવન્યૂ ઓથોરિટી અથવા મામલતદાર પર છોડી દેવા જોઈએ. જસ્ટિસ નિરલ આર. મહેતાએ બહુ મહત્ત્વના ચુકાદા મારફ્તે સ્પષ્ટ કરી નાંખ્યું હતું કે, ટેનાન્સી એકટ હેઠળના આવા સંબંધિત વિવાદોમાં જે જેમાં રેવન્યૂ ઓથોરિટી અને મામલતદારને જ નિર્ણય લેવાની સત્તા છે. તેમાં સિવિલ કોર્ટેની કોઇ દરમ્યાનગીરી ન્યાયોચિત નહી લેખાય.
શું હતો ટેનન્સી એકટનો સમગ્ર વિવાદ.
કેસની વિગતો મુજબ, ચુનીભાઇ વેરીભાઇ પટેલ અને પ્રવીણભાઇ ચુનીભાઇ પટેલના વારસો તથા અન્યો દ્વારા જમીનમાં તેઓને ટેનાન્ટ તરીકે જાહેર કરવા દસ્ક્રોઇના મામલતદાર-કૃષિ પંચ સમક્ષ ૨૦૦૮માં અરજી કરી હતી. આ અરજી પેન્ડીંગ હતી તે દરમ્યાન હાલની રિટ અરજીના અરજદાર અશ્વિનભાઇ મનુભાઇ પટેલ તથા અન્યો દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સિવિલ સુટ દાખલ કરાયો હતો અને પ્રતિવાદીઓને ટ્રેસપાસર જાહેર કરવા માંગણી હતી. સિવિલ કોર્ટે ગુજરાત ટેનન્સી એકટની કલમ-૮૫ અને ૮૫ એની જોગવાઇઓ ધ્યાનમાં લઇને સમગ્ર મામલો પ્રતિવાદીઓ ટેનાન્ટ છે કે નહી...? તે નિર્ણિત કરવા માટે મામલતદાર-રેવન્યૂ ઓથોરિટીને મોકલી આપ્યો હતો, આ ઓથોરિટીનો નિર્ણય ના આવે ત્યાં સુધી સિવિલ કોર્ટે હાલના અરજદાર દ્વારા દાખલ કરાયેલો સિવિલ સુટ સ્ટે કરી દીધો હતો. જેનાથી નારાજ થઇ અરજદારે સિવિલ કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

No comments:
Post a Comment