પરિપત્રઃ દસ્તાવેજ નોંધણી માટે સબ રજિસ્ટારોમાં ચાલતી પ્રેક્ટિસ ઉપર બ્રેક
રજિસ્ટર બાનાખત એક તરફી રદ થઈ શકે નહીં, વ્યક્તિની ચકાસણી કરવાના આદેશો
નોંધણી કરતા પહેલાં રજૂ કરનારની ઓળખ સહિતની સક્ષમતા ચકસવી ફરજિયાત.
જમીન - મિલકત સંબંધિત બનાખતના દસ્તાવેજોની નોંધણી માટે સબ રજિસ્ટ્રારની કચેરીઓમાં એક તરફી ચાલતી રદ્દીકરણ માટેની પ્રેક્ટિસ સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. જેના પગલે રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપરિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવને પરિપત્ર કરીને રજિસ્ટર બાનાખતને ર૬ કરવાને તબક્કે દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિની ચકાસણી ફરજિયાત કરવા આદેશ કર્યો છે.
રાજ્યની અનેક સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં બિલ્ડર્સ, ડેવલપર્સ દ્વારા રજૂ થતા બાનાખતોને રદ્દ કરવા માટે રદ્દીકરણનો લેખ રજૂ થાય ત્યારે એક તરફથી હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ પ્રકારના એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપતા ૧૯૭૦ના ગુજરાત નોંધણી નિયમોનો ચૂસ્ત અમલ કરાવવા માર્ગદર્શક સુચના આપી હતી. જેના આધારે નોંધણી સર નિરીક્ષક એક પરિપત્ર કરીને જણાવ્યુ છે કે, દસ્તાવેજ નોંધણી અધિકારીએ લેખ રજૂ કરનાર વ્યક્તિ યોગ્ય છે કે કેમ ? સક્ષમતા ધરાવે છે કે કેમ ? તેની ચકાસણી ફરજિયાતપણે કરવાની રહેશે. રદ્દીકરણના લેખોમાં પણ ક્યારેક લેખની નોંધણી કરવામા આવે ત્યારે તેઓ જમીન ઉપર કોઈ માલિકી હક ધરાવતા નહોતા તેવુ ધ્યાને આવ્યુ છે. આથી, આવા લેખોમાં પણ બંને પક્ષોની સમંતિથી થવુ જોઈએ. નોંધાયેલો લેખ તેના અમલ કરનારાઓ દ્વારા એકપક્ષીય રીતે રદ્દ થઈ શકતા નથી. જો તેમ થાય તો તેનું કોઈ મુલ્ય પણ રહેતુ નથી. આથી તમામ નોંધણી અધિકારી નોંધણી માટે રજૂ થયેલા દસ્તાવેજોની ઝીણવટપૂર્વક તપાસ કરે તેવો આદેશ કરવામા આવે છે.
આધાર બેઝ અધિકૃતતામાં બીજી કોઈ પદ્ધતિથી ઓળખ થશે નહી.
નોંધણીમાં દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિ આધાર બેઝ્ડ ઓથેન્ટિકેશન એટલે કે 'અધિકૃતતા' માટે સુવિધાનો ઉપયોગ કરે અને તે પ્રક્રિયા સફળ થાય તો દસ્તાવેજ કરી આપનારને નોંધણી અધિનિયમ- ૧૯૦૮ કલમ-૩૪ મુજબ ઓળખની ખાતરી થઈ જતી હોવાથી તેમની ઓળખ માટે બીજી કોઈ પધ્ધતિ કે ખરાઈની જરૂરીયાત રહેતી નથી. આ વ્યવસ્થાનો અમલ કરવા માટે નોંધણી સર નિરીક્ષકે શુક્રવારે એક પરિપત્ર કર્યો છે. જેથી દસ્તાવેજ કરી આપનારની ઓળખ માટે ઓળખ આપનારને સબ રજિસ્ટાર કચેરીમાં જવાની જરૂર રહેશે નહી. એથી તેની વિડીયો ગ્રાફી પણ થશે નહી. કચેરીમાં હાજર થયા વગર જ દસ્તાવેજની નોંધણી થઈ શકશે.


No comments:
Post a Comment