હિન્દુ વારસાહક્ક અધિનિયમ : ૨૦૦૫ના સુધારા પહેલાં વહેંચણી થઈ ગઇ હોય યા તે પહેલાં વહેંચાઈ ગઈ હોય તો મિલકતનું પાર્ટિશન રિઓપન કરી શકાય નહીં
હિન્દુ વારસાહક્ક અધિનિયમમાં સને-૨૦૦૫માં થયેલ સુધારા મુજબ કુટુંબની વડીલોપાર્જિત મિલકતમાં દીકરાઓની જેમ દીકરીઓને પણ દીકરાઓ જેટલો જ કોપાર્સનર તરીકે હક્ક, અધિકાર મળે છે અને દીકરીઓને પણ હવે દીકરાઓ જેટલો જ સરખો હિસ્સો મળે છે. હિન્દુ વારસાહક્ક અધિનિયમમાં થયેલ આ સુધારાનો કાયદો રિસ્ટ્રોસ્પેક્ટિવ યાને પૃાદ્વર્તી અસરવાળો હોઈ સને-૨૦૦૫ પહેલાં જન્મેલ દીકરીઓને પણ હવે દીકરાઓ જેટલો જ સરખો હિસ્સો મળે છે. પરંતુ જો કોઈ સંજોગોમાં કુટુંબની આવી વડીલોપાર્જિત મિલકત અંગે ૨૦ ડિસે., ૨૦૦૪ પહેલાં યાને હિન્દુ વારસાહક્ક અધિનિયમમાં સને-૨૦૦૫માં થયેલ સુધારા મુજબનો કાયદો અમલમાં આવ્યા પહેલા વહેંચણી થઈ ગયેલ હોય યા તે પહેલા વહેંચાઈ ગઈ હોય તો તે સંજોગોમાં કુટુંબની આવી વડીલોપાર્જિત મિલકતનું પાર્ટીસન રિઓપન કરી શકાય નહીં. તેવો સિદ્ધાંત નામદાર ઓરિસ્સા હાઇકોર્ટે પ્રવત ચંદ્ર પટ્ટનાયક વિ. સરતચંદ્ર પટ્ટનાયકના કેસમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.
પરંતુ હિન્દુ વારસાહક્ક અધિનિયમમાં સને-૨૦૦૫માં થયેલ સુધારા હેઠળના હક્કો તા. ૦૯ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ હયાત સમાંશિતોની હયાત પુત્રીઓને લાગુ પડે છે, ભલે પછી આવી પુત્રીઓ ગમે ત્યારે જન્મી હોય. માત્ર હયાત સમાંશિતોની હયાત દીકરીઓ જ વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સાની માગણી કરવા હક્કદાર રહેશે. હિન્દુ વારસા અધિનિયમ હેઠળ દીકરીઓ સરખો હિસ્સો તો જ માગી શકે, જો તેમના પિતા અને પોતે ૨૦૦૫ના સુધારાની તારીખે હયાત રહ્યા હોય. તેવો સિદ્ધાંત નામદાર કર્ણાટક હાઇકોર્ટ (કાલાબુરાગી લોન્ચ) (ખંડપીઠ) દ્વારા અંબારાયા, મલ્લિકાર્જૂન વિરુદ્ધ લક્ષ્મીબાઈ ઉર્ફે વિજ્યાલક્ષ્મી, શિવાકાંત, રેગ્યુલર ફર્સ્ટ અપીલ નં. : ૨૦૦૦૧૦ /૨૦૧૬ના કામે તા. ૨૦-૦૯-૨૦૧૮ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.
(લેન્ડ લોઝ જજમેન્ટ્સ, વોલ્યુમ-૨, ઇશ્યૂ-૧૦, ઓક્ટોબર - ૨૦૧૯, પાના નં. ૭૫૯)
આ કેસમાં નામદાર કોર્ટ સમક્ષ મુખ્ય પ્રશ્ન એ ઉપસ્થિત થયેલ કે, શું દીકરીઓ સંયુક્ત હિન્દુ કુટુંબની વડીલોપાર્જિત મિલકતોમાં સમાંશિતો તરીકે સરખો હિસ્સો મેળવવા હક્કદાર છે કે કેમ, તે પણ વાદીઓ દ્વારા એવી કબૂલાત કરવામાં આવી હોવા છતાં કે, તેમના પિતા તા. ૦૩-૦૪-૨૦૧૪ના રોજ દાવો દાખલ કરવાના સમયથી ૧૬ વર્ષો અગાઉ અવસાન પામ્યાં હતાં ? માનનીય ઉપલી કોર્ટે મંગામ્મલ ઉર્ફે તુલસી વિ. ટી. બી. રાજુનાં કેસમાં, જણાવેલ કાયદાના સિદ્ધાંતોનો સંદર્ભ લીધેલ. સરળ સંદર્ભ માટે કથિત ચુકાદાના ફકરા નં. ૧૦ને ટાંકવાનું સુસંગત છે. ”૧૦) વધુમાં, અધિનિયમની કલમ ૨૯-એ હેઠળ, વિધાનસભાએ ‘સમાંશિતની દીકરી’ એવો શબ્દ વાપર્યો છે. અહીં, આવા શબ્દોની અસરનો અર્થ બંને, સમાંશિત અને દીકરી વર્ષ ૧૯૮૯નો સુધારો અમલી બનવાના સમયે આ જોગવાઈનો લાભ મેળવવા માટે હયાત રહ્યા હોવા જોઈએ. આવો જ સરખો મુદ્દો આ કોર્ટ સમક્ષ પ્રકાશ વિ. ફુલાવતી, ૨૦૧૬ (૨) સુ. કો. કે ૩૬ના કેસમાં વિચારણા માટે આવ્યો હતો અને તેમાં આવા જ વિષય સાથે કામે લેતી વખતે આ કોર્ટે ફકરા નં. ૨૩માં નીચે મુજબ ઠરાવ્યું હતું : ૨૩. તે મુજબ અમો ઠરાવીએ છીએ કે, સુધારા હેઠળના હક્કો તા. ૦૯ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ હયાત પુત્રીઓને લાગુ પડે છે, ભલે પછી આવી પુત્રીઓ ગમે ત્યારે જન્મી હોય (અમારા દ્વારા ભાર મૂકવામાં આવ્યો)
એ નોંધવું ઉચિત છે કે, તાજેતરમાં આ કોર્ટે દનામ્મા ઉર્ફે સુમન સુરપુર વિ. અમર, ૨૦૧૮ (૧) સ્કેલ ૬૫૭ના કેસમાં, વડીલોપાર્જિત મિલકતમાં દીકરીના અધિકારના વિવાદ સાથે કામ લીધું હતું. તે કેસમાં, દીકરીના પિતા વર્ષ ૨૦૦૧માં અવસાના પામ્યા હતા, અને છતાંય કોર્ટે દીકરીને વર્ષ ૨૦૦૫ના સુધારાના પરિપેક્ષમાં વડીલોપાર્જિત મિલકતમાં હક્ક માગવાની પરવાનગી આપી હતી. ચુકાદાની તપાસ ઉપર અને (ઉપર ટાંકેલ) દનામ્માના કેસની ચોક્કસ હકીકતોને ધ્યાને લીધા બાદ, એ બાબત સાબિત થાય છે કે, આ કોર્ટની ખંડપીઠે પ્રાથમિક રીતે પિતાના અવસાનના મુદ્દા સાથે કામ લીધું નહોતું, ઊલટાનું તે મુખ્યત્વે કાયદાના એવા પ્રશ્ન સાથે સંબંધિત હતું કે, શું વર્ષ ૨૦૦૫ના સુધારા પહેલાં જન્મેલ દીકરી વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો માગવા હક્કદાર બનશે કે નહીં ? આવા સંજોગોમાં, અમારા મતે, વડીલોપાર્જિત મિલકતમાં દીકરીના અધિકારના હેતુથી સંમાશિતના અવસાનના મુદ્દે પ્રકાશના (ઉપર ટાંકેલ) કેસનો ચુકાદો હજી પણ પૂર્વનિર્ણયનું સ્થાન પકડી રાખશે. ટૂંકમાં કહેતા, માત્ર હયાત સમાંશિતોની હયાત દીકરીઓ જ વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સાની માગણી કરવા હક્કદાર રહેશે. આથી નામદાર હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે, આ ચુકાદાના પ્રકાશમાં, એ બાબતે કોઈ વિવાદ હોઈ શકે નહીં કે, માત્ર હયાત સમાંશિતોની હયાત દીકરીઓ જ વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સાની માગણી કરવા હક્કદાર રહેશે. પ્રકાશ વિ. ફુલાવતી, ૨૦૧૬ (૨) સુ. કો. કે ૩૬ના કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કાયદો ફરીને માનનીય ઉપલી કોર્ટના મંગામ્મલ ઉર્ફે તુલસી વિ. ટી. બી. રાજુનાં તાજેતરના ચુકાદામાં જણાવવામાં આવેલ છે. તેથી, ઉપર સંર્દિભત (મિલકતના વિભાજન માટે) માનનીય ઉપલી કોર્ટના ચુકાદાના તારણો મુજબ દાવાવાળી મિલકતોને વિભાજિત કરવી જોઈશે અને હિસ્સાઓની ફાળવણી કરવી જોઈશે. હિન્દુ વારસા અધિનિયમ હેઠળ દીકરીઓ સરખો હિસ્સો તો જ માગી શકે, જો તેમના પિતા અને પોતે ૨૦૦૫ના સુધારાની તારીખે હયાત રહ્યા હોય.
પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝ : નજમુદ્દીન મેઘાણી
No comments:
Post a Comment