રિગ્રાન્ટ ન થઈ હોય કે જમીનની તબદિલી થઈ હોય તેમને પણ લાભ
ઈનામી જમીનોના અનઅધિકૃત કબજાને જંત્રીના 20% ભરી નિયમબદ્ધ કરી શકાશે.
રાજ્યમાં જે તે સમયે વિવિધ પ્રકારે બક્ષિસ તરીકે મળેલી વિવિધ ખેતીને લગતી ઈનામી જમીનોના અનઅધિકૃત કબજા હકને નિયમબદ્ધ કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રીગ્રાન્ટ કરેલી અથવા કરવાને પાત્ર હોય પણ ન થયેલી હોય તેવી જમીન પ્રવર્તમાન જંત્રીના 20 ટકા કબજા હક્કની રકમ ભરી નિયમબદ્ધ કરવાની રાહત જાહેર કરાઈ છે. તેના કારણે આવી જમીનોની તબદિલીઓ થઈ ગઈ હોય અને હાલ આવી જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદાર સહિત મોટા વર્ગને ફાયદો થઈ શકશે.
મહેસૂલ વિભાગે ઈનામી જમીનોના માલિકી હકને સુવ્યવસ્થિત કરવા માટે 2023માં કબજા હકને નિયમબદ્ધ કરવા હુકમ બહાર પાડયા હતા. જો કે તેવી જમીનોના કબજા હક નિયમિત કરવામાં જે જમીન ધારકો અનઅધિકૃત હતા તેમની મુશ્કેલી યથાવત રહી હતી. તેથી અનધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવા 2 ફેબ્રુઆરીએ ઠરાવ બહાર પાડીને તેમાં વધુ સરળતા કરી આપી છે. તે મુજબ રીગ્રાન્ટ કરેલી હોય પરંતુ કબજાકિંમત ભરપાઈ કરેલી ન હોય તેવી જમીનના કબજેદારને તેનો લાભ મળશે એટલું જ નહીં રીગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રીગ્રાન્ટ થઈ ન હોય તો પણ કરી શકાશે.
તે ઉપરાંત તેવી જમીનના વારસદારો જો આવી જમીનના અનઅધિકૃત ધારણ કરનારા હોય કે આવી જમીનોની તબદિલીઓ થઈ ગઈ હોય અને હાલ આવી જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા હાલના કબજેદારને પણ ફાયદો થશે. આ નિર્ણયનો લાભ લેવા માટે પ્રવર્તમાન જંત્રી કિંમતની 20 ટકા બજાર હકની રકમ તેમની પાસેથી વસૂલવામાં આવશે. તેના કારણે આર્થિક ભારણ પણ ઓછુ થશે.
આ નિર્ણયના કારણે સરકાર તરફથી અપાયેલી હોય તેવી જમીન કે જેમાં શરતભંગ થયો હોય, કબજાફેર થયો હોય કે શ્રીસરકાર થઈ ગઈ હોય તેવી જમીનને પણ લાભ મળશે. અમદાવાદ શહેરની ફરતેના વિસ્તારો સહિત અનેકમાં આવી જમીન નિયમબદ્ધ થઈ શકશે.


No comments:
Post a Comment