વસિયતમાં કરાયેલ વહેંચણી સમાન છે કે નહીં તે જોવાનું કામ કોર્ટનું નથી.
ગુજરાતમાં જમીન-મિલકત અને વીલ-વારસાઈની બાબતોમાં નિપુણ અને અધિકારીક અભિપ્રાય આપતા એક પ્રતિષ્ઠિત વકીલ અને લિગલ કન્સલટન્ટ છે. દાયકાઓના અનુભવ સાથે, તેમણે અગ્રણી કાનૂની વિશેષજ્ઞ નિષ્ણાત તરીકે ઓળખ મેળવી છે. તે માત્ર વકીલ જ નહીં, પરંતુ કાનૂની બાબતોના લેખક, સંકલનકર્તા, વક્તા, ટીવી પ્રેઝન્ટર તેમજ લોકપ્રિય અખબારના કોલમિસ્ટ પણ છે ઉપરાંત તેઓ સેમિનારના માધ્યમથી કાયદાકીય જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા છે અને સમગ્ર ગુજરાતમાં તેમને કાનૂની ક્ષેત્રે એક આઈકન તરીકે ઓળખવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિને પોતાની સ્વપાર્જિત માલિકી ધરાવતી મિલ્કતો પોતાના મૃત્યુ બાદ પોતાની ઇચ્છા, મનમરજી મુજબ વ્યવસ્થા કરવાનો પુરેપુરો હક્ક અને અધિકાર છે અને તેથી વીલ યાને વસિયતનામું બનાવવામાં આવતું હોય છે અને વીલ કરનાર દ્વારા પોતાના સંતાનો અથવા કોઈપણ સગાં-સંબંધી યા ત્રાહિત વ્યક્તિને તેઓની હયાતી બાદના મિલ્કતના માલિક બનાવતા હોય છે. પરંતુ જ્યારે વીલ કરનાર દ્વારા પોતાના સંતાનો પૈકીના સંતાનોને જ વીલના લાભાર્થી તરીકે નિમણૂક કરી હોય તો તે સિવાયના અન્ય હક્કથી વંચિત રહેલા સંતાનો દ્વારા વીલ યાને વસિયતનામા અંગે શંકાસ્પદ સંજોગો હોવાનું દર્શાવી અને પોતાનો હિસ્સો મિલ્કતોમાં લાગતો હોવાની અને સરખા પ્રમાણમાં તેવો હિસ્સો મેળવવા હક્કદાર હોવા અંગે તર-તકરારો થતી હોય છે. તેવા સંજોગોમાં વીલ યાને
વસિયતનામા અંગે વીલના લાભાર્થી દ્વારા કોર્ટ સમક્ષ રૂબરુ શંકાસ્પદ સંજોગોના કારણ ઉપસ્થિત કરી વીલને પડકારવામાં આવતું હોય છે. આમ, જ્યારે વીલ યાને વસિયતનામા અંગેની સત્યતા તપાસવાની બાબતમાં કોર્ટ માટે એ જોવાનું કોઈ સ્થાન નથી કે, શું વસિયતકર્તા દ્વારા કરવામાં આવેલ વહેંચણી તેમના તમામ બાળકો વચ્ચે વાજબી અને સમન્યાયી હતી કે નહીં. કોર્ટ વસિયત હેઠળની મિલકત વ્યવસ્થા પરત્વે આર્ટિકલ ૧૪ લાગુ પાડતી નથી. તેવો સિધ્ધાંત નામદાર સુપ્રિમ કોર્ટ (ખંડપીઠ) દ્વારા સ્વર્ણલથા અને બીજાઓ વિરુદ્ધ કલાવથી અને બીજાઓ, સિવિલ અપીલ નં. : ૧૫૬૫/૨૦૨૨ના કામે તા. ૩૦-૦૩-૨૦૨૨ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.
આ કેસની ટૂંકમાં હકીકત મુજબ : માતા આધિલક્ષ્મી યામ્મલ તા.૧૪,૦૮,૧૯૯૫ના રોજ અવસાન પામી હતી. તેણીએ પોતે ખરીદેલ મિલ્કતો અને તે મિલ્કતો, કે જે તેણીએ પોતાના મામા પાસેથી મેળવી હતી, તેઓનું ઉત્તરદાન તેણીના બે દીકરાઓની તરફેણમાં કરતી તા. ૩૦૦૧.૧૯૯૫ના રોજની વસિયત પાછળ છોડી હતી. દીકરી કલાવથીને એવા આધાર ઉપર કોઈ હિસ્સો આપવામાં આવ્યો નહોતો કે, તેણી માટે પહેલાંથી જ પૂરતા પ્રમાણમાં જોગવાઈઓ કરવામાં આવી હતી.
તેમજ પિતા મન્નાર રેડ્ડીયાર તા. ૦૮.૦૮.૨૦૦૦નાં રોજ અવસાન પામ્યા હતાં તેઓએ તેમના બે દીકરાઓ તેમજ તેમના પૌત્ર-પૌત્રીઓની તરફેણમાં તેમની મિલકતોનું ઉત્તરદાન કરતી તા. ૧૦,૧૨,૧૯૯૮નાં રોજની વસિયત પાછળ છોડી હતી. દીકરી કલાવથીને આ વસયત હેઠળ પણ કોઈ મિલકત ફાળવવામાં આવી નહોતી.
ત્યારબાદ, દીકરી કલાવથી અને (વસિયતકર્તાઓના) હયાત દીકરા વી.એમ. સિવાકુમારે ડિસ્ટ્રિક્ટ મુન્સીફ કોર્ટ, પુનામલ્લીની ફાઇલ ઉપર ઓ.એસ.નં. ૩૮૭/૨૦૦૫ વાળો દાવો વિભાજન માટે દાખલ કર્યો હતો. તે અંગે જાણ થવા ઉપર હાવનાં અપીલકર્તાઓ-લાભાર્થીઓએ મન્નાર રેડ્ડીયાર અને અધિલક્ષ્મીયામ્મલની વસિયતોના પ્રોબેટ મંજૂર કરવા માટે અધિનિયમની કલમો ૨૭૦, ૨૭૬ અને ૨૮૯ હેઠળ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ, વેલ્વોરની ફાઇલ ઉપર પ્રોબેટ મૂળ અરજી નં. ૧/૨૦૦૫ વાળી અરજી દાખલ કરી હતી. તે અરજીની વસયતકર્તાની દીકરી અને બીજા દીકરા દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, તા. ૦૭.૦૬.૨૦૧૦ના રોજના ચુકાદા વડે ડિસ્ટ્રિકટ કોર્ટે બંને વસિયતોનું પ્રોબેટ મંજૂર કર્યું હતું.
પ્રોબેટ કોર્ટ સમક્ષ બચાવકર્તાઓએ તેમનું ધ્યાન બંને વસિયતોની આસપાસના તથા કથિત શંકાસ્પદ સંજોગો ઉપર કેન્દ્રિત કર્યું હતું. જોકે, બચાવકર્તાઓએ એવી પણ રજૂઆત ઉપસ્થિત કરી હતી કે, વસિયતકર્તાઓને વસિયતની રાહે તેમની મિલ્કતોનો નિકાલ કરવાનો કોઈ અધિકાર નહોતો, તેમ છતાં, પ્રોબેટ કોર્ટે સીધેસીધી એવા આષાર ઉપર તે નામંજૂર કરી હતી કે, પ્રોબેટ કોર્ટની હકૂમતનો અવકાશ કોઈપણ મિલ્કત પરત્વેના ટાઈટલના વિવાદી પ્રશ્નોનો નિર્ણય કરવાની નહોતો. વસિયતકર્તાઓ સ્વસ્થ અને નિર્ણયાત્મક મનઃસ્થિતિમાં નહોતા, હાઇકોર્ટે તેમના દ્વારા વેઠવામાં આવેલ બિમારીઓનો પ્રકાર નહીં છતો કરવા બદલ અપીલકર્તાઓને કસૂરવાર ઠરાવ્યા હતાં. કુદરતી વારસો પૈકીના એકને ઉત્તરદાનમાંથી બાકાત કરવાનું કૃત્ય પોતે આપમેળે જ એવું ઠરાવવાનો આધાર બની શકે નહીં કે, શંકાસ્પદ સંજોગો છે.
વસિયત કરાયાની આસપાસના શંકાસ્પદ સંજોગોને સંબંધિત કાયદો પહેલાંથી જ સુપ્રસ્થાપિત છે અને તેને પુનરાવર્તિત કરવાની કોઈ જરૂર નથી. કોર્ટના તાજેતરના નિર્ણયો પૈકીના એક કવિતા કાનવર વિ. શ્રીમતી પામેલા મહેતા, ૨૦૨૦ એ.આઈ.આર (સુ.કો.) ૫૪૪ના કેસનો સંદર્ભ આપીએ તો તેટલું પૂરતું છે, કે જેમાં આ કોર્ટે છેક એચ. વેંક્ટાયલા આયંગર વિ. બી. એન. થિમ્માજમ્મા, ૧૯૫૯ એ.આઈ.આર (સુ.કો.) ૪૪૩થી શરૂ કરીને અગાઉના વગભગ તમામ નિર્ણયોનો સંદર્ભ વીધો હતો. પરંતુ એવા કેસો, કે જેમાં શંકાનું સર્જન કરવામાં આવ્યું હોય, તે મોટેભાગે એવા કેસો છે, કે જ્યાં વસિયતકર્તાની સહી અંગે વિવાદ હોય અથવા તો વસિયતકર્તાની માનસિક ક્ષમતા અંગે પ્રશ્ન કરવામાં આવેલ હોય. આ બાબત એ હકીકત ઉપરથી જોઈ શકાય કે, કવિતા કાનવરના (ઉપર ટાંકેલા) કેસમાં સંદર્ભિત આ કોર્ટના લગભગ તમામ અગાઉના નિર્ણયો એવા સંજોગોની યાદી આપે છે, કે જે વસિયતકર્તાની સ્વસ્થ અને નિર્ણયાત્મક મન:સ્થિતિના પરિપેક્ષમાં શંકાસ્પદ સંજોગો બન્યા હતાં. વસિયત કરાયાની હકીકતની પ્રમાણભૂતતાને તપાસવાની બાબતમાં કોર્ટ માટે એ જોવાનું કોઈ સ્થાન નથી કે, શું વસિયતકર્તા દ્વારા કરવામાં આવેલ વહેંચણ તેમના તમામ બાળકો વચ્ચે વાજબી અને સમન્યાયી હતી કે નહીં. કોર્ટ વસિયત હેઠળની મિલ્કત વ્યવસ્થા પરત્વે આર્ટિકલ ૧૪ લાગુ પાડતી નથી.
ઉપરોક્ત જણાવ્યા મુજબ નામદાર વરિષ્ઠ કોર્ટના જુદા-જુદા ચુકાદાઓમાં આપવામાં આવેલ તારણોનું અભ્યાસ કરતા જાણી શકાશે કે, કોઈપણ વ્યક્તિ પોતાની હયાતીમાં સ્વપાર્જિત ધારણ કરેલ મિલ્કત વીલમાં મિલકતની વહેંચણી પોતાની મરજી અને ઈચ્છા મુજબ કરી શકે છે અને વ્યક્તિના મરણ બાદ જો તેવું વીલ કોર્ટ સમક્ષ પડકારવામાં આવે તો તેવી કોર્ટે વીવની કાયદેસરતા ચકાસી ન્યાય-નિર્ણય કરવાનો રહે છે. જેમ કે, વીલમાં કરવામાં આવેલ સહી, વીલ કરનારની માનસિક સ્થિતિ, યોગ્ય સાક્ષીઓ અને યોગ્ય રીતે સહીઓ થયેલ, શંકાસ્પદ સંજોગો વિગેરે કાયદેસર વીલ માટે જે કંઈ મુદ્દાઓ ચકાસવાના હોય તે મુદ્દા ચકાસવાની નામદાર કોર્ટને હકૂમત રહેલ છે. પરંતુ મરનાર વ્યક્તિએ વિલમાં પોતાની મિલ્કતો કોને કેટલા પ્રમાણમાં આપી છે તે અંગે પ્રમાણભૂત નક્કી કરવાનું નામદાર કોર્ટને હકૂમત નથી. વ્યક્તિ પોતાની મિલ્કતને પોતાની મરજી મુજબ વહેંચણ કરવાનું ફરમાવ્યું હોય ત્યારે તેવી વહેંચણ અયોગ્ય, અસમાન, અકુદરતી કે અસમન્યાયી હોવાનું તારણ આપવાની નામદાર કોર્ટને હકૂમત રહેલ નથી.
આમ, મરનાર વ્યક્તિની વીલમાં પોતાના વારસદારો પૈકી કોઈકને ઓછું આપવાથી કે બાકાત કર્યા હોવાથી તે વીલ શંકાસ્પદ હોવાનું નામદાર કોર્ટ ઠરાવી શકે નહીં. આમ, જ્યારે વીલ યાને વસિયતનામા અંગેની સત્યતા તપાસવાની બાબતમાં કોર્ટ માટે એ જોવાનું કોઈ સ્થાન નથી કે, શું વસિયતકર્તા દ્વારા કરવામાં આવેલ વહેંચણી તેમના તમામ વારસો વચ્ચે વ્યાજબી અને સમન્યાયી હતી કે નહીં. કોર્ટ વસિયત હેઠળની મિલ્કત વ્યવસ્થા પરત્વે આર્ટિકલ-૧૪ લાગુ પાડતી નથી. (વેન્ડ લોઝ જજમેન્ટસ વોલ્યુમ-૧, ઇસ્યુ-૩, માર્ચ-૨૦૨૩, પાનાં નં. ૨૨૭)


No comments:
Post a Comment