કબજા આધારે દાવો ટાઈટલ સાબિત ન હોવાને કારણે રદ કરી શકાય નહીં
ઘણાં કિસ્સાઓમાં કોઈ વ્યક્તિનો કોઈ જમીન યા મિલકતમાં ખૂબ લાંબા સમયગાળાથી કબજો, ભોગવટો ચાલી આવેલ હોય પરંતુ તે વ્યક્તિ પાસે તેવી જમીન મિલકતનો માલિકી હક્ક બાબતનો કોઈ પાકો દસ્તાવેજ-પુરાવો ન હોય તેવા કિસ્સાઓમાં આવી વ્યક્તિ દ્વારા પોતાના વર્ષોથી ચાલી આવેલા સ્થાયી-અનન્ય કબજા, ભોગવટામાં કોઈ ત્રાહિત વ્યકિત હરકત, અંતરાય, અટકાયત કરે અને તે બાબતે સ્થાયી કબજામાં ચાલી આવેલ વ્યક્તિ પોતાના સ્થાયી-અનન્ય કબજાને સાચવવા અને સ્થાવર મિલકતનો કબજો સુરક્ષિત કરવા માટે દાવો દાખલ કરે તો તેવા દાવાના કામે વાદી પોતાનું ટાઈટલ નહીં સાબિત કરી શકે માત્ર તેવા કારણસર તેનો દાવો રદ કરી શકાય નહીં અને તેને સ્થાવર મિલકતના પોતાના કબજાને સુરક્ષિત રાખવા રક્ષણ પૂરું પાડવું જોઈએ. સ્થાયી કબજા આધારિત મનાઈ હુકમનો દાવો ટાઇટલ નહીં સાબિત થયાના કારણસર રદ કરી શકાય નહીં.
તેવો સિદ્ધાંત નામદાર મુંબઈ હાઇકોર્ટ દ્વારા કાદર રાજુ શેખ; ભીકમ કાદર શેખ અને બીજા વિરુદ્ધ અબ્બાસ પિરમોહમદ શેખ અને બીજા, સિવિલ એપ્લિકેશન નં. ૧૭૭૯/૨૦૧૬ ના કામે તા. ૦૭-૧૧-૨૦૧૯ ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ (LLJ), વોલ્યુમ-૨, ઈશ્યૂ-૧૦, ઓક્ટોબર-૨૦૨૦, પાના નં.૬૯૧) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
દાવાવાળી જમીન સ્વીકાર્યપણે એક હામિદ હુસૈનની સ્વપાર્જિત મિલકત હતી, કે જેઓએ તે ખરીદી હતી અને તેને ખેડતાં આવેલ હતાં. વાદીનો દાવો એવો હતો કે, ૧૦૫ વર્ષની ઉંમરે હામિદ હુસૈને વાદીને મિલકતની બક્ષિસ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો અને તેનો ભૌતિક કબજો વાદીને આપ્યો હતો, કે જેઓએ તેનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ, એટલે કે, મૌખિક બક્ષિસ, કે જેને વાદી દ્વારા સ્વીકારવામાં આવી હતી, તે કર્યા બાદ હામિદ હુસૈને મહેસૂલી રેકર્ડમાં વાદીના નામે દાવાવાળી મિલકતની ફેરફાર નોંધ પડાવવા માટે તહેસીલદાર, ચાંદવડને અરજી કરી હતી. આ અરજીના અનુસંધાનમાં, એક ફેરફાર નોંધ વાદીના નામે પાડવામાં આવી હતી. હામિદ હુસૈન પાછળથી અવસાન પામ્યા હતાં, કે જ્યાર બાદ વાદી દાવાવાળી જમીનના અનન્ય કબજા અને ભોગવટામાં ચાલુ રહ્યા હતાં અને તેને ખેડતા આવેલ હતાં. વાદીની નારાજગી એ હતી કે, પ્રતિવાદીઓ, કે જેઓને દાવાવાળી જમીન સાથે કશુંય લાગતું વળગતું નહોતું, તેઓ દાવાવાળી મિલકતમાં પાક ઉગાડવામાં વાદી અને તેમના મજૂરોને અવરોધી રહ્યા હતાં. તે મુજબ, વાદીએ હાલનો દાવો પ્રતિવાદીઓની વિરુદ્ધ દાવાવાળી મિલકતના વાદીના કબજામાં દખલગીરી કરવાથી અથવા તેને અવરોધવાથી તેઓને અટકાવતા કાયમી મનાઈહુકમ માટે દાખલ કર્યો હતો. તા. ૩૧ ડિસેમ્બર, ૧૯૮૭ ના રોજના તેમના ચુકાદા અને હુકમનામા થકી સિવિલ જજ, જુનિયર ડિવિઝન, ચાંદવડનાંએ વાદીને માગ્યા મુજબનો કાયમી મનાઈહુકમ મંજૂર કરીને વાદીની તરફેણમાં દાવામાં હુકમનામું કર્યું હતું. પરંતુ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, નાશિક સમક્ષની પ્રતિવાદીઓની અપીલ ઉપર આ હુકમનામું ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સેટ-એસાઈડ કરવામાં આવ્યું હતું અને દાવો રદ કર્યો હતો. ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ હુકમથી નારાજ થઈને, વાદીએ હાલની બીજી અપીલ નામદાર મુંબઈ હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલી.
નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે, વિવાદી હુકમમાં રહેલ પાયાનો તર્કદોષ એ છે કે, ડિસ્ટ્રિક્ટ કોર્ટે વાદીને તેમને કબજો સુરક્ષિત કરવાનો દાવો દાવાવાળી મિલકત ઉપરના વાદીના અનન્ય કબજા અંગે કોઈપણ રીતે કોઈ સવાલ કર્યા વિના જ રદ કરેલ છે. જો તેમના અનન્ય કબજા અંગે કોઈ વિવાદ/પડકાર થયો નહોતો તો, હામિદ હુસૈન દ્વારા કરાયેલ કહેવાતી મૌખિક બક્ષિસ થકીનો તેમનો અનન્ય માલિકી હક્ક સાબિત થતો નહોતો, એવું માની લઈને અને તે દાખલ કર્યા વિના, પ્રતિવાદીઓએ ખરેખર ક્યાં તો તેમનો અગાઉથી અસ્તિત્વમાન ભૌતિક કબજો દર્શાવ્યો હોય અથવા વસિયતી કે બિનવસિયતી વારસાઈ થકી દાવાવાળી મિલકત પરત્વેનો તેમને હક્કદાર હોવાનું દર્શાવ્યું હોય, તે સિવાય, વાદી તેમના દ્વારા માગ્યા મુજબના કાયમી મનાઈહુકમ માટે હક્કદાર હતાં.નામદાર હાઈકોર્ટે જણાવેલ કે, પ્રતિવાદીનો દાવો વાદી, પ્રતિવાદીઓ અને દાવાવાળી મિલકતના સ્વીકૃત માલિક, નામે હામિદ હુસૈન શૈખ દ્વારા ધારણ કરાયેલ વડીલોપાર્જિત મિલકતનો હતો. આ દાવા ઉપરાંત, દાવાવાળી મિલકતના સંબંધમાં પ્રતિવાદીઓ દ્વારા અન્ય કોઈ અધિકારનો દાવો કરવામાં આવ્યો નહોતો. પ્રતિવાદીઓનો દાવાવાળી મિલકતના ભૌતિક કબજામાં હોવાનો દાવો, ન તો ટ્રાયલ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો, કે ન તો પહેલી એપેલેટ કોર્ટ દ્વારા અને પ્રતિવાદીઓ દ્વારા જે માટે હક્કદાર હોવાનું નિવેદન આપવામાં આવ્યું હતું, તે એકમાત્ર દાવો પણ નીચલી બંને કોર્ટો દ્વારા તેઓની વિરુદ્ધ નોંધવામાં આવેલ હોઈ, દાવાવાળી મિલકતના તેમના કબૂલાત પામેલ કબજાને સુરક્ષિત કરવાના વાદીના દાવાનો વિરોધ કરવા માટે તેમની પાસે કોઈ દાવો નહોતો. પહેલી એપેલેટ કોર્ટનો વિવાદી હુકમ તે મુજબ રદ અને સેટ-એસાઈડ કરવાને લાયક હોવાનું અને વાદીનો દાવો મંજૂર કરવાને લાયક હોવાનું ઠરાવેલ.
આ કેસ ઉપરથી ફલિત થાય છે કે, કોઈ વ્યક્તિનો કોઈ જમીન યા મિલકતમાં ખૂબ લાંબા સમયગાળાથી કબજો, ભોગવટો ચાલી આવેલ હોય પરંતુ તે વ્યક્તિ પાસે તેવી જમીન મિલકતને માલિકી હક્ક બાબતનો કોઈ પાકો દસ્તાવેજ - પુરાવો ન હોય તેવા કિસ્સાઓમાં આવી વ્યક્તિ દ્વારા પોતાના વર્ષોથી ચાલી આવેલા સ્થાયી-અનન્ય કબજા, ભોગવટામાં કોઈ ત્રાહિત વ્યક્તિ હરકત, અંતરાય, અટકાયત કરે અને તે બાબતે સ્થાયી કબજામાં ચાલી આવેલ વ્યક્તિ પોતાના સ્થાયી-અનન્ય કબજાને સાચવવા અને સ્થાવર મિલકતનો કબજો સુરક્ષિત કરવા માટે દાવો દાખલ કરે તો તેવા દાવાના કામે વાદી પોતાનું ટાઇટલ નહીં સાબિત કરી શકે માત્ર તેવા કારણસર તેનો દાવો રદ કરી શકાય નહીં અને તેને સ્થાવર મિલકતના પોતાના કબજાને સુરક્ષિત રાખવા રક્ષણ પુરું પાડવું જોઈએ. સ્થાયી કબજા આધારિત મનાઈ હુકમનો દાવો ટાઇટલ નહીં સાબિત થયાના કારણસર રદ કરી શકાય નહીં.
(લેન્ડ લોઝ જજમેન્ટસ (LLJ), વોલ્યુમ-૨, ઇ શ્યૂ-૧૦, ઓક્ટોબર-૨૦૨૦, પાના નં.૬૯૧)
No comments:
Post a Comment