વારસાઈમાં ભાગ પડતાં જમીનોના ટુકડાં સંકોચાતા નિર્ણય
ટુકડા ધારો સુધરશે, હવે 20ને બદલે 10 ગુંઠાનો ટુકડો માન્ય રહેશે.
શહેરી વિસ્તારોમાં જમીન ટુકડા ધારાની જોગવાઈ નાબૂદ થશે.
જમીન વ્યવહારોને સરળ બનાવવા રાજ્ય સરકારે 75 વર્ષ જૂના 'ટુકડા ધારા-1947'માં ઐતિહાસિક સુધારા માટેના વટહુકમને રાજ્યપાલની મંજૂરી ગઇ છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ આ સુધારાઓ અમલમાં આવશે. નવા સુધારા મુજબ ટુકડા ધારામાં જમીનનો એક ટુકડો 20 ગુંઠાથી ઘટાડીને 10 ગુંઠા(લગભગ 11 હજાર ચોરસફૂટ) સુધીનો માન્ય રખાશે. અલબત્ત 10 ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં. ભાઈભાંડુઓમાં વારસાઈને કારણે જમીનોના ભાગ પડતાં થતાં ટુકડાને કારણે તેની લઘુત્તમ મર્યાદા ઘટાડાઇ છે. જેથી હવે કોઈપણ ધારક 20 ગુંઠાથી ઓછી જમીન ધરાવી ન શકે તેવું ફરજિયાત નહીં રહે.
શહેરી વિસ્તારો માટે પણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોને ટુકડા ધારામાંથી સંપૂર્ણ મુક્તિ અપાઈ છે. જમીન લે-વેચ અને બાંધકામની પ્રક્રિયા વધુ સરળ બનશે. અગાઉ પિયત, બિનપિયત અને બાગાયત જમીન માટે જુદા નિયમો દૂર કરીને 10 ગુંઠાનો ટુકડો નિયત કરાયો છે.
1948થી અત્યાર સુધી ટુકડા ધારાના ભંગ હેઠળ આવેલા તમામ કેસોને કોઈપણ પ્રકારની પેનલ્ટી વગર વિનિયમિત કરવામાં આવશે. અગાઉ જંત્રીના 10 ટકા દંડ ભર્યા પછી પણ આવા વ્યવહારો કાયદેસર ગણાતા નહોતા. વર્ષોથી રેવન્યુ કોર્ટમાં ચાલી રહેલા હજારો કેસોનો કાયમી નિકાલ આવશે, નાના ટુકડાઓ ધરાવતા ખેડૂતોને હવે પેનલ્ટી વગર માલિકી હક મળશે, નાના પ્લોટ ખરીદનાર લોકોને પણ મોટી રાહત મળશે. ટાઇટલ ક્લિયર થવાથી મિલકતની બજાર કિંમત વધશે અને બેંક લોન મેળવવી સરળ બનશે.


No comments:
Post a Comment