હયાતી દરમિયાન પરવાનગીપાત્ર નથી, તેવું કાર્ય વસિયતના દસ્તાવેજથી મૃત્યુ પછી થઈ શકે નહીં
આ દિવાસી કબજેદારોએ ધારણ કરેલ જમીનનોને બિન આદિવાસી સમો કે સંપન્ન આદિવાસી ઈસમો લોભ, લાલચ કે દમદાટી આપી સહેલાઈથી જમીનો પડાવી ન લે તે હેતુસર જમીન મહેસૂલ કાયદાની કલમ ૭૩-એએ અન્વયે આવી જમીનોની તબદીલી પર કાયદાકીય નિયંત્રણ લાદવામાં આવેલ છે જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ ૭૩-એ, ૭૩-એએ, ૭૩-એબી (એસી), ૭૩-એડીની જોગવાઈઓ આ દિવાસીની ખેતીની જમીન તેમજ બિનખેતીની જમીન એમ બંને પ્રકારની જમીનોને લાગુ પડે છે. જેથી આદિવાસીઓએ ધારણ કરેલ ખેતી તેમજ બિનખેતીની જમીનની તબદીલી માટે પ્રથમ કલેક્ટરશ્રીની પૂર્વ મંજુરી મેળવવાની રહે છે. આદિવાસીની બિનખેતીની જમીનની તબદીલી માટે પણ કલમ ૭૩-એ, ૭૩-એએ વગેરે હેઠળની જોગવાઈઓને ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીઓને સત્તા આપવામાં આવેલ છે. આમ, આદિવાસી કબજેદારોએ ધારણ કરેલ જમીનોની તબદીલી પર કાયદાકીય નિયંત્રણ લાદવામાં આવેલ છે. આમ છતાં ઘણાં કિસ્સાઓમાં એવું બને છે કે, આદિવાસી ધારણકર્તા દ્વારા પોતાની હયાતીમાં અન્ય કુટુંબ બહારની યા બિનઆદિવાસી વ્યક્તિઓની તરફેણમાં વીલ-વસિયતનામું કરવામાં આવતું હોય છે. આ સંજોગોમાં મરનાર આદિવાસી ધારણકર્તાના કુટુંબના સભ્યો દ્વારા દાવા-દુવીના પ્રકરણો થતાં હોય છે. પરંતુ અનુસૂચિત જનજાતિની વ્યક્તિ, વીલ-વસિયત થકી તેની જમીન તબદીલ કરી શકે નહીં.
અનુસૂચિત જનજાતિની વ્યક્તિ, વીલ-વસિયત થકી તેની જમીન તબદીલ કરી શકે નહીં. જે કાર્ય હયાતી દરમિયાન કરવાનું પરવાનગીપાત્ર નથી, તેને વસિયત જેવા દસ્તાવેજ વડે મૃત્યુ બાદ કરી શકાય નહીં. તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા બાવચંદભાઈ રણછોડભાઈ પટેલ (મૃતક) વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. : ૯૫૯૭/૨૦૧૬ ના કામે તા. ૦૧-૧૦-૨૦૧૮ ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.
જમીન મહેસૂલ સંહિતાની કલમ ૭૩કક ની જોગવાઈને ઉપરોકત વિસ્તૃત માર્ગદર્શિકાઓ ધ્યાનમાં રાખીને વિચારવી જરૂરી છે. જમીન મહેસૂલ સંહિતાની કલમ ૭૩ક તબદીલીના અધિકારને મર્યાદિત કરવાની સત્તાનો સંદર્ભ આપે છે. કલમ ૭૩ની જોગવાઈમાં ‘તબદીલીપાત્ર અને વારસાઈ પાત્ર ખાતા(જમીનના કબજા)' નો સંદર્ભ છે. આવી જ સરખી જોગવાઈઓ વસિયત, બક્ષિસ, વિનિમય, ગીરો, ભાડાપટ્ટો અથવા એસાઈનમેન્ટ વડે થતી તબદીલી ઉપર મર્યાદા લાદતા ગણોત અધિનિયમમાં મળી આવે છે. તેથી ઉપર ચર્ચા કર્યા મુજબ આવા અધિકારની તબદીલી અથવા વસિયત વડે સંક્રમણ અથવા વસિયતની યુક્તિના પાસા ઉપરની વિગતવાર ચર્ચા સાથે 'એસાઈનમેન્ટ' એવા શબ્દને હાઈકોટની માનનીય ખંડપીઠ દ્વારા ધ્યાને લેવામાં આવેલ છે. એવું વિશેષરૂપે નોંધવામાં આવેલ છે કે, જયારે વિધાનસભા તબદીલી ઉપર મર્યાદા લાદે છે ત્યારે આવી પ્રયુક્તિ પરવાનગીપાત્ર નથી.
હાઇકોર્ટની માનનીય ખંડપીઠના બીજા એક રાજેનભાઈ બલદેવભાઈ શાહના કેસના ચુકાદાનો ઉપયોગી સંદર્ભ લઈ શકાય. ગણોત અધિનિયમની કલમ ૪૩ હેઠળ જમીનની તબદીલી ઉપરની મર્યાદાના આવા જ સરખા મુદ્દાનો સંદર્ભઆપતી વખતે માનનીય ખંડપીઠે આવો જ સરખો મુદ્દો વિચારણામાં લીધો હતો. નામદાર હાઇકોર્ટ દ્વારા આ કેસમાં એ બાબત પણ ધ્યાને લેવામાં આવેલ છે. કે, શું એક વ્યક્તિને આડકતરી રીતે એવું કાર્ય કરવાની પરવાનગી આપી શકાય, કે જે તે પોતાની હયાતી દરમિયાન સીધેસીધું કરી શકતી ન હોય. બીજા શબ્દોમાં, શું એક વ્યક્તિ આવા વસિયતરૂપી સાધન વડે જમીન તબદીલ કરી શકે, કે જે પ્રતિબંધને કારણે પરવાનગીપાત્ર નથી. 'તબદીલી' શબ્દને બે હયાત વ્યક્તિઓ વચ્ચેની તબદીલી સાથે સંબંધ છે. વસિયતના આવા સાધન વડે સંક્રમણ પણ આવા સાધન વડે જમીન જેવી મિલકતમાં રહેલ હિતની તબદીલીમાં પરિણમશે, કે જે અવસાન બાદ અસર લેશે. તેથી, રજૂઆત કરવાનો પ્રયત્ન થયા મુજબ તે સંક્રમણ છે અને નહીં કે તબદીલી. વધુમાં, ઉપર જણાવ્યા મુજબ જે કરવાની હયાતી દરમિયાન કરવાની પરવાનગી નથી, તેને મિલકત વ્યવસ્થા અથવા વસિયતના દસ્તાવેજો જેવા અમુક સાધનો કરી આપીને પરવાનગીપાત્ર બનાવી શકાયું ન હોત. જમીનના સંબંધમાં પ્રતિબંધિત કરવામાં ન આવે ત્યાં સુધી આવી તબદીલીઓ નાબૂદ થશે નહીં અને તેથી, એવું નોંધવામાં આવેલ છે કે, અધિનિયમની જોગવાઈ, કે જે તબદીલી, ભાડાપટ્ટા અથવા એસાઇનમેન્ટ જેવા કોઈપણ પ્રકારના નામ/મથાળા વડે જમીનની કોઈપણ પ્રકારની તબદીલીને પ્રતિબંધિત કરતી હોય, તેનું અર્થઘટન અધિનિયમ પાછળના ઉદ્દેશ અને હેતુને પરિપૂર્ણ કરતી વિસ્તૃતરીતે જ કરવું જોઈશે અને નહીં કે આવા હેતુને નષ્ટ કરીને.
ઉપરોક્ત કેસ ઉપરથી ફલિત થાય છે કે, આદિવાસી ધારણકર્તા દ્વારા જ્યારે પોતાની હયાતીમાં અન્ય કુટુંબ બહારની યા બિનઆદિવાસી વ્યક્તિઓની તરફેણમાં વીલ-વસિયતનામું કરવામાં આવતું હોય છે. ત્યારે આ સંજોગોમાં મરનાર આદિવાસી ધારણકર્તાના કુટુંબના સભ્યો દ્વારા દાવા-દુવીના પ્રકરણો થતાં હોય છે. પરંતુ અનુસૂચિત જનજાતિની વ્યકિત, વિલ-વસિયત થકી તેની જમીન તબદીલ કરી શકે નહીં. અનુસૂચિત જનજાતિની વ્યક્તિ, વીલ-વસિયત થકી તેની જમીન તબદીલ કરી શકે નહીં. જે કાર્ય હયાતી દરમિયાન કરવાનું પરવાનગીપાત્ર નથી, તેને વસિયત જેવા દસ્તાવેજ વડે મૃત્યુ બાદ કરી શકાય નહીં
No comments:
Post a Comment