રાજયમાં ખેતીની જમીનો અંગે “મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર" (Revenue Title Cum Legal Occupancy Certificate- RTLOC) નું પ્રમાણપત્ર આપવા બાબત.
પરિપત્ર ક્રમાંક: જમન/૧૦૨૦૨૫/૪૬૨/ક તા. ૦૮/૦૪/૨૦૨૫
પરિપત્ર :
જમીન મહેસુલ અધિનિયમ,૧૮૭૯ની કલમ ૬૫ અંતર્ગત બીનખેતીની પરવાનગી તથા પ્રિમીયમ સાથે બીનખેતી પરવાનગી મેળવવાની કાર્યપધ્ધતિમાં સરળીકરણ કરવા બાબતે સરકારશ્રીમાં ઉચ્ચ કક્ષાએ વિચારણા કરવામાં આવેલ હતી. જે સંદર્ભે મહેસુલી પ્રકિયામાં વહીવટી સુધારણાના ભાગ રૂપે સરકારશ્રી કક્ષાએ પુખ્ત વિચારણાને અંતે ખેતીની જમીનોને બિનખેતીમાં રૂપાંતર કરવા તથા પ્રતિબંધીત સત્તા પ્રકાર અથવા નવી શરતની જમીનોને પ્રિમીયમ વસુલ લઇ બિનખેતી પરવાનગી આપવા સંદર્ભે પાત્રતા નક્કી કરવા તથા રેકર્ડ પરના કબજેદાર કાયદેસર હોવાનું પ્રમાણપત્ર આપવા “મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર” ઇસ્યુ કરવા જોગવાઇ કરવામાં આવે છે. પ્રમાણપત્ર (Revenue Title Cum Legal Occupancy Certificate- RTLOC) આપવા અંગે નીચે દર્શાવ્યા મુજબની કાર્યપધ્ધતિ અનુસરવાની રહેશે.
(૧) ખેતીની જમીન ધરાવનાર મરજીયાત રીતે પોતે પોતાની જમીન અંગે મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર મળી રહે તે માટે સંબંધિત કલેક્ટરશ્રીને અરજી કરી શકશે. આ અરજીની ચકાસણી અને નિર્ણયાર્થે આવા અરજદારે અરજી સાથે પ્રોસેસ ફી સરકારશ્રી વખતો વખત નક્કી કરે તે મુજબ ભરવાની રહેશે જે નોન-રીફંડેબલ રહેશે.
(૨) કલેક્ટરશ્રીને આવી અરજી મળ્યેથી તેની ચકાસણી હકકપત્રક સંબંધી તેમજ મહેસૂલી અને સંલગ્ન કાયદા અને નિયમો, સ્થાયી ઠરાવો સંદર્ભે ચકાસણી કરવાની રહેશે. સવાલવાળી જમીન અથવા તેના કોઇ ભાગના સંપાદન અંગેની કાર્યવાહી ચાલે છે કે કેમ? તેની પણ ચકાસણી કરવાની રહેશે. જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ હોય ત્યારે તે જમીનના મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રની અરજી દફતરે કરવાની રહેશે.
(3) કલેક્ટરશ્રીની કચેરી ધ્વારા નિયત નમૂનામાં ચેકલીસ્ટ ભરવાનું રહેશે.
(૪) જે જમીનનું હકકપત્રક સંબંધી મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર માગેલ છે તેને લગતા છેલ્લાં ૨૫ વર્ષના તબદીલી, વારસાઇ, વહેંચણીના વ્યવહારો અંગેના મહેસુલી રેકર્ડની ચકાસણી કરવાની રહેશે. પરંતુ પ્રિમીયમ પાત્ર, નવી શરત, પ્રતિબંધિત સત્તાપ્રકારના નિયંત્રણો, ગણોતીયાના અનિર્ણીત હક્કો સહિતના સરકારશ્રીના હિત સંદર્ભે ૧૯૫૧-૫ર થી મહેસૂલી રેકર્ડની ચકાસણી કરવાની રહેશે.
(૫) જમીન સંબંધી હકક-હીત ધરાવનારાઓના દિવાની હક્કો તેમજ મહેસુલી કાયદા અંગેના હકકોને બાધ આવ્યા સિવાય તથા દીવાની અથવા મહેસૂલી કોર્ટમાં પેન્ડીંગ કેસોમાં કોઈ મનાઈ હુકમ ના હોય અને કેસનો આખરી ચુકાદો અરજદારને બંધનકર્તા રહેશે તે શરત સાથે કલેક્ટરશ્રી કક્ષાએ મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રના સંદર્ભમાં ચકાસણી કરવાની રહેશે. આ બાબતે સંબંધિત કોર્ટમાં કેસ ચાલે છે કે કેમ ? તે અંગે અરજદારનું ડીક્લેરેશન અરજી સાથે લેવાનું રહેશે. આ ઉપરાંત પેન્ડીંગ મહેસૂલી કેસો અંગે IRCMS/iLMSમાં ચકાસણી કરવાની રહેશે.
(૬) જમીનના હકકપત્રક સંબંધી મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રની અરજીની ચકાસણી અને નિર્ણય હકકપત્રકની વિગતો તેમજ મહેસુલી કાયદાઓ પુરતી મર્યાદિત રહેશે.
(૭) જમીનના હકકપત્રક સંબંધી મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રની અરજીની ચકાસણી દરમ્યાન કોઈપણ પ્રકારના સંદિગ્ધ અને અધકચરા નિર્ણયો નોંધવામાં ન આવે તેની તકેદારી રાખવાની રહેશે.
(૮) જમીનના હકકપત્રક સંબંધી મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રની ચકાસણી દરમ્યાન હકકપત્રકમાં પડેલ નોંધો અન્વયે જે તે સમયના પ્રવર્તમાન કાયદાઓ, નિયમો, પરીપત્રો, સ્થાયી ઠરાવો અને સુચનાઓ ધ્યાનમાં લેવાની રહેશે.
(૯) એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે, મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર આપતા સમયે જમીનના ક્ષેત્રફળ, રી-સરવે થયેલ ક્ષેત્રફળ, તે અંગેના વાંધા, હકકપત્રકે દાખલ થયેલ સત્તા પ્રકારની નોંધો પરત્વે નિર્ણય લેવામાં આવશે નહીં, પરંતુ આ અંગેના પેન્ડીંગ કેસોમાં સક્ષમ અધિકારી દ્વારા જે આખરી નિર્ણય થાય તેને આધીન મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર આપવાનું રહેશે.
(૧૦) મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર અંગે નિયત ડેક્લેરેશન તથા ગામ ૭/૧૨ ના અધ્યતન ઉતારા સહ અરજી રજુ થયાથી 30 દિવસમાં મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું રહેશે અથવા તો દફતરે / નામંજુર કરવાનું રહેશે.
(૧૧) મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રની અરજીની ચકાસણી દરમ્યાન કોઈ મુદ્દા પરત્વે વિશેષ ચકાસણીની જરૂર જણાય તો સંબંધિત કલેકટરશ્રી શાખાઅધિકારીઓ સાથે બેઠક યોજીને નિર્ણય કરી શકશે. ઉપર મુજબની પૂર્તતા કર્યા બાદ કલેકટરશ્રી ધ્વારા નિયત ચેકલિસ્ટ મુજબ ચકાસણી કરીને નિયત નમુનામાં મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર આપવાનું રહેશે. અરજી, ચેકલિસ્ટ તથા પ્રમાણપત્રનો નિયત નમુનો આ સાથે સામેલ છે.
(૧૨) મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર ઈસ્યુ કર્યા પછી રેકર્ડે કોઈપણ પ્રકારની તબદીલી વિષયક પ્રક્રિયા થયેલ ન હોય, કોઇ દિવાની કે મહેસૂલી કોર્ટમાં કેસ ઉપસ્થિત થયેલ ન હોય, જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થયેલ ન હોય, સરકારી કે અન્ય લેણાની વસૂલાત સંદર્ભે જપ્તી/હરાજીની કાર્યવાહી શરૂ થયેલ ન હોય, કાયદેસરના કબજેદારનુ અવસાન થયેલ ન હોય ત્યાં સુધીના સમય માટે માન્ય રહેશે.
(૧૩) સંબંધિત કલેકટર મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર અંગે ક્ષતિપૂર્તિ માટેના જમીનના કાયદાઓ અન્વયે મળતા હકકો અને ઉપાયો અંગે દિશા-નિર્દેશ કરી શકશે, તથા મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર અંગેની કામગીરીનું નિયમિત સુપરવિઝન તથા સમીક્ષા કરશે અને તાબાના અધિકારીશ્રીઓને કામગીરી યોગ્ય અને સુચારૂ થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપશે.
(૧૪) કલેકટરશ્રીએ Revenue Title Cum Legal Occupancy Certificate- RTLOC અંગે કરેલ નિર્ણયથી કોઈ વ્યક્તિ નારાજ હોય તો ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૨૧૧ અન્વયે સચિવશ્રી (વિવાદ) મહેસૂલ વિભાગ સમક્ષ રીવીઝન રાહે-દાદ મેળવી શકશે.
(૧૫) મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર લીધા બાદ અરજદાર દ્વારા બિનખેતી અરજી કરવામાં આવે તો તેના ૧૦ દિવસમાં જો પ્રિમીયમપાત્ર જમીન હોય તો – પ્રિમીયમ સહિત, રૂપાંતર કર તથા વિશેષ ધારો (NA assessment) ભરવા કલેક્ટરશ્રી તરફથી અરજદારને જાણ કરવાની રહેશે.
(૧૬) જો કોઇ અરજદાર મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર મેળવ્યા સિવાય બિનખેતી અરજી રજૂ કરવા ઇચ્છતા હોય તો તેવા કિસ્સાઓ માટે હાલની વ્યવસ્થા અને કાર્યપદ્ધતિ ચાલુ રહેશે.
પરિપત્ર ક્રમાંક: જમન/૧૦૨૦૨૫/૪૬૨/ક
No comments:
Post a Comment